ગુજરાતમાં ભારે વરસાદ : નવસારી જિલ્લામાં 21 લોકોનાં મોત, ગામોમાં હોડીઓ ફરતી થઈ, જુઓ તસવીરો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લામાં અત્યંત ભારે, તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

અનેક રસ્તામાં ભારે વરસાદને કારણે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

હાલમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી બે-ત્રણ દિવસ વરસાદનું જોર યથાવત્ રહેશે.

ભારે વરસાદને કારણે રાજ્યનું વહીવટી તંત્ર અને સરકાર પણ સતર્ક થયાં છે અને બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે.

સાણંદ પાસેના છારોડી ગામના અલ્પેશ પરમાર નામના સ્થાનિકે બીબીસીને જણાવ્યું હતું, "અમદાવાદથી વીરમગામ જતા હાઈવેને શનિવાર સવારથી બંધ કરી દેવાયો છે. આ વિસ્તારમાં આવતા લોકોએ ખૂબ જ સાવધાની રાખવી, કારણ કે રસ્તામાં ખૂબ જ પાણી ભરાયેલાં છે. આ સિવાય રસ્તા ઉપર મોટા ખાડા અને ભૂવા પણ પડી ગયા છે."

અલ્પેશ પરમારે જણાવ્યું હતું કે સચાણા, વીરમગામ અને ઇંદિરાનગરમાં પાણી ભરાયેલાં છે.

પપ્પુ નામના એક શ્રમિકે જણાવ્યું હતું, "અમે ત્રણ દિવસથી ખાધું નથી. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો કોઈ અહીં આવવા માગતું હોય, તો હાલ ન આવો. અમે ચાલતા અમદાવાદ સ્ટેશને જઈ રહ્યા છીએ અને ત્યાંથી જ અમારા ગામ જઈશું."

રસ્તાઓ ઉપર અનેક કિલોમીટર લાંબી ટ્રક-મોટરોની લાઇનો જોવા મળી હતી. કેટલાંક સ્થળોએ ગટરમાંથી પાણી ઊભરાતાં જોવા મળ્યાં હતાં.

તો અનેક સ્થળોએ માલિકો દ્વારા રસ્તા પર મૂકી દીધેલી ગાડીઓ પણ જોવા મળી હતી.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 25 જુલાઈએ નવસારી જિલ્લાના પુરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગણદેવી અને ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં પુરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "ભારે વરસાદને કારણે, સુરત, નવસારી અને વલસાડમાં મોટું નુકસાન થયું છે. વલસાડ અને નવસારીમાં વરસાદને કારણે કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, કેટલાંક ઘરો પણ તણાઈ ગયાં છે."

તેમણે કહ્યું કે "નવસારી જિલ્લામાં અંદાજે 21 લોકોનાં મોત થયાં છે."

તેમણે કહ્યું કે, "પૂરથી પ્રભાવિત લોકોને 18,00 રૂપિયા કેસડોલ અને 5,000 ઘરવખરી માટે, એમ મળીને કુલ 6800 રૂપિયા ચૂકવી દેવાની સૂચના અપાઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન