You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નંદન નીલેકણી : એક સમયે કૉંગ્રેસના ઉમેદવાર જેમને મોદીએ પરીક્ષા સુધારણાની જવાબદારી સોંપી, એ કોણ છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સુધારાઓની તપાસ માટે ટૅક્નૉલૉજી ક્ષેત્રે જાણીતા નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તેમના રિપોર્ટના આધારે પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવાશે.
પીએમ મોદીએ કહ્યું , "જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી છે, તેઓ જેલમાં સડી રહ્યા છે. અમે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરી. અમે સંસદમાં કડક કાનૂની જોગવાઈઓ સાથે એક નવો કાયદો બનાવવા જઈ રહ્યા છીએ."
"પરંતુ આપણે ભવિષ્ય માટે વિચારવું પડશે. આપણી પરીક્ષા પદ્ધતિ વિશ્વસનીય, પારદર્શક હોવી જોઈએ. આપણી પરીક્ષા પદ્ધતિઓમાં ટૅક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિશ્વ વિખ્યાત ટૅક્નૉલૉજી નિષ્ણાત નંદન નીલેકણીજીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવાયો છે."
તેમણે કહ્યું, "તે પરીક્ષા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનું કામ એ રિપોર્ટના આધારે શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવશે."
સુધારા માટેની ટાસ્ક ફોર્સમાં કોનો સમાવેશ થશે?
સમાચાર એજન્સીઓ એએનઆઇ અને આઇએએનએસ અનુસાર, હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સમાં ટેકનિકલ નિષ્ણાત નંદન નીલેકણી, ઇસરોના પૂર્વ ચૅરમૅન એસ. સોમનાથ, પૂર્વ આઇબી ડાયરેક્ટર તપન ડેકા, આઇઆઇટી ચેન્નાઈના ડાયરેક્ટર વી. કામકોટી, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લૉજિસ્ટિક્સ નિષ્ણાત અમૃતલાલ મીણાનો સમાવેશ થાય છે."
નંદન નીલેકણી આઇટી કંપની ઇન્ફોસિસના સહ-સ્થાપક છે. તેમને લાંબા સમયથી બૅંગલુરુમાં આઇટી ઇન્ડસ્ટ્રીના ચહેરા તરીકે જોવામાં આવે છે.
નંદન નીલેકણીને સફળતા, સંપત્તિ, માહિતી અને કૉર્પોરેટ સ્ટાઇટના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. તેમના નિર્ણયો સતત મીડિયામાં હેડલાઇન્સ બન્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારમાં 'આધાર કાર્ડ' યોજના નંદન નીલેકણીએ શરૂ કરી હતી.
આ યોજના 2009માં શરૂ કરવામાં આવી હતી. 12-અંકના આ અનોખા નંબરને આધાર કહેવામાં આવે છે. બાદમાં ઘણી સરકારી યોજનાઓ માટે આધાર ફરજિયાત બનાવાયું હતું.
નંદન નીલેકણીએ 2014માં કૉંગ્રેસની ટિકિટ પર બૅંગલુરુ દક્ષિણ લોકસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી હતી .
જોકે આ ચૂંટણીઓમાં તેમનો ભાજપના અનંતકુમાર સામે પરાજય થયો હતો. કુમારે આશરે 57% મત મેળવ્યા હતા, જ્યારે નીલેકણીને આશરે 37% મત મળ્યા હતા.
તાજેતરમાં નંદન નીલેકણી ટૅક્નૉલૉજી ક્ષેત્રે તેમજ પર્યાવરણ અને જૈવવિવિધતાના મુદ્દાઓ પર ખૂબ સક્રિય રહ્યા છે .
તેમણે તેમના ઍક્સ હેન્ડલ પર આ મુદ્દાઓ પર ઘણી વખત પોતાના વિચારો શૅર કર્યા છે.
કૉંગ્રેસે મોદી સરકાર પર શું આરોપ મૂક્યો?
પીએમ મોદીના સંદેશ બાદ, કૉંગ્રેસના નેતા જયરામ રમેશે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે "મિત્રો જૂન 2024માં નીટ-યુજી સહિત અનેક પરીક્ષાઓમાં ગેરરીતિઓ બાદ મોદી સરકારે પરીક્ષાઓના 'પારદર્શક, સુચારુ અને નિષ્પક્ષ સંચાલન સુનિશ્ચિત કરવા માટે ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી."
"જુલાઈ 2026માં નીટ-યુજી અને અન્ય પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ બાદ મોદી સરકારે પરીક્ષા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 'હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે."
જયરામ રમેશે આગળ લખ્યું, "મોદી સરકારે હજુ સુધી કે. રાધાકૃષ્ણન સમિતિની 101 ભલામણોને સંપૂર્ણપણે લાગુ કરી નથી. હકીકતમાં 2024 અને 2026ના પેપરલીક વચ્ચેનાં લગભગ બે વર્ષમાં તેણે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી માટેના કાયમી ડાયરેક્ટર જનરલની નિમણૂક પણ કરી નથી."
તેમણે આરોપ લગાવ્યો કે "આખરે આ વડા પ્રધાનની ખરડાયેલી છબીને સુધારવાનો ફક્ત એક હાઈ પાવર્ડ પ્રયાસ છે"
યુવાનોના વિરોધપ્રદર્શન બાદ વડા પ્રધાન મોદીએ વીડિયો પોસ્ટ કર્યા
બુધવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર દેશભરમાં યુવાનો દ્વારા થઈ રહેલા વિરોધપ્રદર્શનો સંબંધિત મુદ્દા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
બુધવારે તેમનો સંદેશ મધ્ય રાતે એક ઇન્સ્ટાગ્રામ વીડિયોના રૂપમાં આવ્યો, જે ફોનના ફ્રન્ટ કૅમેરાથી વર્ટિકલ ફૉર્મેટમાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.
તેમણે પોતાના સંદેશની શરૂઆત સામાન્ય રીતે વપરાતા શબ્દ 'મિત્રો'ને બદલે 'ફ્રેન્ડ્સ' કહીને કરી.
તેમણે વીડિયોમાં કહ્યું, "ફ્રેન્ડ્સ, હું જાણું છું કે પેપરલીક કોઈ નાની વાત નથી. તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખૂબ પીડાદાયક છે અને તેથી પેપરલીકની ઘટના પછી છેલ્લા અઢી મહિનામાં ઘણાં પગલાં લેવાયાં છે. ગુનેગારો પકડાયા છે અને જેલમાં છે."
તેમણે આગળ કહ્યું કે "પરંતુ અમે એવા લોકો નથી જે આનાથી સંતુષ્ટ થઈ જઈએ અને તેથી જ આજે મેં વિભાગોને ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે સૂચનાઓ આપી છે. આજે વિભાગોએ સખત મહેનત કર્યા પછી મને એક ડ્રાફ્ટ આપ્યો. આ ડ્રાફ્ટ જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કઠોર સજાનો સમાવેશ થાય છે તેની ચર્ચા કૅબિનેટમાં કરવામાં આવશે."
"કૅબિનેટના સાથીઓનાં સૂચનો સાથે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને સોમવારથી સંસદનું બીજું સપ્તાહ શરૂ થઈ રહ્યું હોવાથી શક્ય તેટલી વહેલી તકે ગૃહમાં તે બિલ પસાર કરવાના પ્રયાસ કરવામાં આવશે."
બીજા દિવસે પણ તેમણે યુવાનોને સંબોધિત કરતો એક વીડિયો બહાર પાડ્યો અને તેમનાં સૂચનો બદલ આભાર માન્યો.
મોદી સરકાર પર દબાણ
નીટ પેપરલીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું આપ્યું. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સીજેપીનું શિક્ષણમંત્રીના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધપ્રદર્શન ચાલતું હતું.
દેશના અન્ય ઘણા વિસ્તારોમાં પણ આ યુવા વિરોધપ્રદર્શનો જોવા મળ્યા. ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, પટના અને લખનૌમાં યુવાનો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને શિક્ષણ સુધારાની માગણી સાથે રસ્તા પર ઊતરી આવ્યા.
આ સમયગાળા દરમિયાન દિલ્હી સહિત દેશના ઘણા વિસ્તારોમાં હિંસા જોવા મળી હતી. આ વિરોધપ્રદર્શનોએ સરકાર પર પણ નોંધપાત્ર દબાણ બનાવ્યું અને કેન્દ્ર સરકારે સીજેપીના પ્રતિનિધિઓ સાથે વાતચીત પણ કરી હતી.
શિક્ષણમંત્રીના રાજીનામા અને પેપરલીકના મુદ્દા અંગે સરકાર પર દબાણ ફક્ત રસ્તાઓ સુધી મર્યાદિત નહોતું. વિરોધ પક્ષો પણ આ મુદ્દા પર સંસદમાં સક્રિય જોવા મળ્યા હતા.
સોમવારે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનીને ઊભરી આવ્યો.
તે જ દિવસે સીજેપીએ જંતર-મંતરથી સંસદ સુધી કૂચનું આહ્વાન કર્યું. જોકે, જ્યારે સીજેપી સમર્થકો સંસદ તરફ આગળ વધ્યા ત્યારે પોલીસ અને સુરક્ષા દળોએ તેમને રોકવા માટે લાઠીચાર્જ અને આંસુ ગૅસનો ઉપયોગ કર્યો.
આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને પોલીસકર્મીઓ પણ હિંસાનો ભોગ બન્યા હતા.
રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ શિક્ષણમંત્રીના રાજીનામાની માગણી સાથે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધપ્રદર્શન કર્યું.
આખા દેશમાંથી વિરોધપ્રદર્શનને મળેલું લોકોનું સમર્થન
જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા યુવાનોને દેશના ઘણા ભાગોમાંથી સમર્થન મળ્યું અને તેમાં ફિલ્મ, કલા, સાહિત્ય અને રમતગમત જગત ક્ષેત્રના લોકોનો સમાવેશ થતો હતો.
વધુમાં સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોએ પણ યુવાનોની માગણીઓને ટેકો આપ્યો. આમ સરકાર પર દબાણ વધતું રહ્યું.
હકીકતમાં કૉક્રોચ જનતા પાર્ટીએ 20 જૂને દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને અન્ય શિક્ષણ સુધારાઓની માગણી સાથે વિરોધપ્રદર્શન સ્વરૂપે ધરણા શરૂ કર્યા હતા.
અને લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુક પણ તેમની માગમાં જોડાયા અને જંતર-મંતર પર ઉપવાસ શરૂ કર્યા.
આ માગણીઓના સમર્થનમાં એઆઇએસએનાં ત્રણ સભ્યો, નેહા, મનીષ અને અમીન પણ જંતર-મંતર પર ભૂખ હડતાળ પર હતાં.
પરંતુ 18 જુલાઈના રોજ હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી ઉપાડી લીધા અને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરી દીધા.
જોકે, સોનમ વાંગચુકને હઠાવ્યા પછી પણ તેમના ઉપવાસ ચાલુ રહ્યા અને સીજેપી ચળવળને ટેકો સતત વધતો ગયો જે અન્ય શહેરોમાં ફેલાઈ ગયો.
સોનમ વાંગચુકે 20 જુલાઈના રોજ સંસદકૂચનું આહ્વાન કર્યું હતું, પરંતુ તેમને વહેલી તકે ઘટનાસ્થળેથી દૂર કરી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટના પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી દિલ્હી પોલીસ અને સરકારની ટીકા કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન